પાક ઉત્પાદન માટે સૂક્ષ્મ તત્વોની આવશ્યકતા મુખ્ય અથવા ગૌણ તત્વોથી જરાય ઓછી કે ઉતરતી નથી. કારણ કે કોઈપણ તત્વ એકબીજાની અવેજી પુરી શકતા નથી. આથી ખુટતું તત્વ ઉમેરવામાં ન આવે અને બીજા ખાતરો ગમે તેટલા જથ્થામાં આપવામાં આવે તો પણ પાકનું ધાર્યું ઉત્પાદન મળતું નથી. આ તત્વો જરૂરી માત્રાથી ઓછા હોય તો પણ પાક ઉત્પાદન પર તેની વિપરીત અસર થાય છે. સૂક્ષ્મ તત્વોની પાકના વૃધ્ધિ અને વિકાસ, પાનના લીલા રંગના બંધારણ, પ્રોટીન અને શર્કરાના બંધારણમાં, તેમજ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં, કઠોળ પાકમાં હવામાંના નાઈટ્રોજનની સ્થિરીકરણની પ્રક્રિયામાં, ઉપરાંત છોડની વિવિધ દેહધાર્મિક પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે.